સરકારી કર્મચારી, પેન્શનરો PMJAYમાં 10 લાખ સુધી કેશલેસ સારવાર લઈ શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત તમામ કર્મયોગીઓને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ મળશે.


યોજનાના મુખ્ય મુદ્દાઓ

  • કોને મળશે લાભ?: રાજ્યના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનધારકો અને તેમના આશ્રિત કુટુંબીજનોને આ યોજનાનો લાભ મળશે. આશરે 4.20 લાખ અધિકારી-કર્મચારીઓ અને 2.20 લાખ પેન્શનધારકો મળીને કુલ 6.40 લાખ કર્મયોગીઓને આ યોજનાનો ફાયદો થશે.
  • કેશલેસ સારવાર: PMJAY-મા યોજનાની જેમ જ, “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા સરકારી, સરકારી સમકક્ષ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં નિયત કરેલ પ્રોસીજર માટે પરિવાર દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.
  • OPD સારવાર: આ યોજના હેઠળ બહારના દર્દી (OPD) તરીકેની સારવારનો સમાવેશ થશે નહીં.
  • માસિક મેડિકલ એલાઉન્સ: હાલ મળતું માસિક મેડિકલ એલાઉન્સ (₹1000) યથાવત રહેશે.
  • મેડિકલ રીઈમ્બર્સમેન્ટ: ₹10 લાખથી વધુના ખર્ચ માટે, AB-PMJAY-MAA માં ઉપલબ્ધ ન હોય તેવી સારવારની પ્રોસીજર માટે, અથવા PMJAY માં એમ્પેનલ ન હોય તેવી હોસ્પિટલોમાં સારવાર માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રીઈમ્બર્સમેન્ટ મળશે.
  • સંકળાયેલ હોસ્પિટલો: હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ 2658 હોસ્પિટલો (904 ખાનગી અને 1754 સરકારી) સંકળાયેલી છે, જેમાં 2471 નિયત પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે.
  • લાભાર્થીઓ: ઓલ ઈન્ડિયા સર્વિસીસ (AIS)ના અધિકારીઓ અને પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનો તેમજ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર મેડિકલ રીઈમ્બર્સમેન્ટ મળવાપાત્ર હોય તે તમામને આ યોજનાનો લાભ મળશે.
  • યોજનાનો ખર્ચ: આ યોજના અંતર્ગત ₹303 કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. રાજ્ય સરકાર પ્રતિ કુટુંબ દીઠ વાર્ષિક ₹3708 પ્રીમિયમ ચૂકવશે.

અપવાદો

  • ફિક્સ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે.
  • પેન્શનધારકોને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.

આ યોજના દ્વારા રાજ્ય સરકાર લાખો કર્મયોગીઓ અને તેમના પરિવારોને અદ્યતન અને કેશલેસ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.

Updated: May 24, 2025 — 9:10 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *