રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના ૧૦૦% નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની જરૂરીયાત જણાયેલ છે. જેથી કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું.