આચાર સંહિતાના કારણે તમામ ભરતી પર રોક લાગ્યા બાદ રજૂઆતના પગલે મંજૂરી મળી
ચૂંટણી પંચની લીલીઝંડી બાદ આચાર્યના ઈન્ટરવ્યુ શરૂ, જૂના શિક્ષકોનું આ સપ્તાહમાં મેરીટ
ધોરણ.૯થી ૧૨ના કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી મળી નહીં
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પગલે અમલમાં આવેલ આચાર સંહિતાના પગલે શિક્ષણ વિભાગની તમામ ભરતી અને બદલી પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. ભરતીની કાર્યવાહી ચૂંટણી પહેલાની હોવાથી પ્રક્રિયા ચાલુ રાખવા શિક્ષણ વિભાગે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.

જેના પગલે આચાર્યના ઈન્ટરવ્યુ અને જૂના શિક્ષકોની ભરતી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી, પરંતુ ધોરણ.૯થી ૧૨ના કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયામાં મંજુરી મળી નથી. ચૂંટણી પંચની લીલીઝંડી મળતાં આજે સોમવારથી આચાર્યના ઈન્ટરવ્યુ શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે જૂના શિક્ષકોની ભરતીનું ફાઈનલ મેરીટ આ સપ્તાહમાં જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ છે.
ચૂંટણી જાહેર થતાં તમામ ભરતી પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. આચાર્યના ઈન્ટરવ્યુ શરૂ કર્યા બાદ અટકી ગયા હતા. એ સિવાય જૂના શિક્ષક અને હાઈસ્કૂલના રેગ્યુલર શિક્ષકની ભરતીમાં હવે ફાઈનલ મેરીટ જાહેર થવાનું હતુ. જેથી કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ભરતી આગળ વધારવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી. દરમિયાન પંચ દ્વારા જૂના શિક્ષક અને આચાર્યના ઈન્ટરવ્યુ હાથ ધરવાની મંજુરી આપતા કાર્યવાહી શરૂ કરાઈ છે. નવા કાર્યક્રમ મુજબ આજે ૧૦ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ઈન્ટરવ્યુની તારીખમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ એ પહેલાના તા.૧લી ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી દરમિયાન રદ થયેલ ઈન્ટરવ્યુ ૧૫થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.